રક્ષાબંધન માત્ર ભાઇ-બહેનનો તહેવાર નથી. તે તહેવાર છે ભાઇ-બહેન, બહેન-બહેન અને ભાઇ-ભાઇ વચ્ચેના અતૂટ બંધનનો. અંગ્રેજીમાં તેની માટે સીબલિંગ્સ શબ્દ વપરાય છે. આ બંધન એટલું અતૂટ હોય છે કે, તેને શબ્દોમાં વર્ણવું મારા માટે તો ખૂબ જ મુશ્કેલ છે. તમે વિશ્વના કોઇ પણ ખૂણે જતા રહો આ સંબંધનું મહત્તવ ઓછું થતું નથી. પરંતુ આપણા ભારતમાં તો આ સંબંધ માટે તો એક તહેવાર ઉજવવામાં આવે છે. તેને આપણે સૌ રક્ષાબંધન કહીએ છીએ.

ક્યારે ઉજવવામાં આવે છે ?

રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે. ભારત અને નેપાળ જેવા દેશોમાં આ તહેવાર મનાવવામાં આવે છે. બહેન ભાઇની સમૃદ્ધિ, આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરીને ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. તેના બદલામાં ભાઈ બહેનને ભેટ આપે છે. તથા બહેનને કોઈપણ નુકસાન ન થાય અને દરેક સંજોગોમાં રક્ષણ આપવાનું વચન આપે છે. આ તહેવાર દૂરના પરિવારના સભ્યો, સંબંધીઓ અથવા પિતરાઈ ભાઈ-બહેનો વચ્ચે પણ ઉજવવામાં આવે છે.

રક્ષાબંધનનો અર્થ

રક્ષાબંધન શબ્દ બે શબ્દોથી જોડાયેલો છે. રક્ષા અને બંધન. સંકૃત પ્રમાણે આને અર્થ થાય “રક્ષણની બાંધ અથવા ગાંઠ” જ્યાં “રક્ષા” રક્ષણ માટે વપરાય છે અને “બંધન” બાંધવા માટેનો સંકેત છે. આ તહેવાર સીબલિંગ્સના પ્રેમનું પ્રતીક છે. જેનો અર્થ એ નથી કે, તે માત્ર લોહીના સંબંધોથી જ સિમિત છે. તમે તમારા પિતરાઇ ભાઇઓ બહેનો અને ભાભીઓ સાથે પણ આ તહેવાર ઉજવવામાં આવે છે.

રક્ષાબંધન ઉત્સવની ઉત્પત્તિ

આ તહેવારની શરૂઆત ક્યારે થઇ ? કેવી રીતે થઇ ? ખબર નહિ. મારા ખ્યાલથી કોઇવાર કોઇ બહેને ભાઇની સલામતી માટે ભગવાને પ્રાર્થના કરીને નિર્દોષ ભાવે હાથમાં દોરો બાંધ્યો હશે. કદાચ ત્યારથી જ રક્ષાબંધનની શરૂઆ થઇ હશે. આ તહેવારને લઇને કેટલીક વાર્તાઓ જોડાયેલી છે. તો ચાલો જાણીએ આ વાર્તાઓ વિશે…

ઇન્દ્રદેવ અને શચી

ભવિષ્ય પુરાણની પ્રાચીન કથા અનુસાર, એક વાર દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. ભગવાન ઇન્દ્ર – આકાશ, વરસાદ અને વીજળીના મુખ્ય દેવતા છે. જે દેવોનાની તરફથી યુદ્ધ લડી રહ્યા હતા. તે શક્તિશાળી રાક્ષસ રાજા બાલી તરફથી આવતા સખત પ્રહારોનો સામનો કરી રહ્યા હતા. યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહ્યું અને તોનો કોઇ નિર્ણાયક અંત આવ્યો નહિ.

આ જોઈને ઈન્દ્રના પત્ની શચી ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાને તેમને કપાસના બનેલો પવિત્ર દોરો આપ્યો. શચીએ તેના પતિ એટલે કે ભગવાન ઇન્દ્રના કાંડાની આસપાસ પવિત્ર દોરો બાંધી દીધો. જેણે આખરે રાક્ષસોને હરાવ્યો અને અમરાવતી પાછી મેળવી લીધી.

રક્ષાબંધન તહેવાર શરૂ થયો તે પહેલા આ પવિત્ર દોરો તાવીજ તરીકે ઓળખાતો હતો. જેનો ઉપયોગ સ્ત્રીઓ જ્યારે તેમના પતિ યુદ્ધ માટે જતા હતા ત્યારે તે તેમને બાંધતી હતી. તથા તેમના માટે પ્રાર્થના કરતી હતી. તે સમયે આ દોરો માત્ર ભાઇ-બહેનના સંબંધ પૂરતો જ મર્યાદિત ન હતો.

રાજા બલી અને દેવી લક્ષ્મી

ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણની એક કથા મુજબ, જ્યારે ભગવાન વિષ્ણુએ રાક્ષસ રાજા બલિ પાસેથી ત્રણેય લોક જીતી લીધા હતા. ત્યારે બલિએ ભગવાન વિષ્ણુને મહેલમાં તેની સાથે રહેવા માટે કહ્યું હતું. ભગવાને તેની આ વિનંતી સ્વીકારી અને બલિ સાથે રહેવા લાગ્યા હતા.

જો કે, ભગવાન વિષ્ણુના પત્ની દેવી લક્ષ્મી તેમના વૈકુંઠમાં પાછા લાવવા માંગતા હતા. તેથી, તેમણે રાક્ષસ બલીના કાંડા પર રાખડી બાંધી અને તેને ભાઈ બનાવ્યો હતો. જ્યારે રાજા બલિએ લક્ષ્મીજીને કોઇ ભેટ માંગવા કહ્યું, ત્યાકે દેવી લક્ષ્મીએ બલિને કહ્યું કે, તે તેના પતિને તેના વચનમાંથી મુક્ત કરે અને તેને વૈકુંઠમાં પાછા ફરવા દે. બલિ તેમની આ વિનંતી સાથે સંમત થયો. ત્યારબાદ ભગવાન વિષ્ણુ તેમના પત્ની દેવી લક્ષ્મી સાથે તેમના સ્થાને પાછા ફર્યા હતા.

સંતોષી માઁ

ભગવાન ગણેશના બે પુત્રો છે. શુભ અને લાભ. તે બંન્ને એ વાતથી હતાશ હતા કે, તેમને કોઇ બહેન નથી. એકવાર તેમણે તેમના પિતા પાસે એક બહેનની માંગણી કરી. ત્યારે ભગવાન ગણેશે દિવ્ય જ્યોત દ્વારા સંતોષી માઁનું સર્જન કર્યુ. રક્ષાબંધનના અવસર પર ભગવાન ગણેશના બંન્ને પુત્રોને બહેન મળી.

કૃષ્ણ અને દ્રૌપદી

મહાભારતની કથા અનુસાર, પાંડવોની પત્ની દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને રાખડી બાંધી હતી. જ્યારે કુંતીએ મહાયુદ્ધ પહેલાં પૌત્ર અભિમન્યુને રાખડી બાંધી હતી.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.

વાંચો : Rakshabandhan 2023 : 10 ગિફ્ટ જે ભાઇ-બહેન એક બીજાને આપી શકે