ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહનો આજે 10 જુલાઇના રોજ જન્મદિવસ છે. આજે તેમને 71 વર્ષ પૂર્ણ થયા છે. તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ભારતના જાણીતા રાજનેતા છે. તો ચાલો, તમને જણાવીએ તેમના વિશેની થોડીક માહિતી.

જન્મ અને પારિવારિક જીવન

રાજનાથ સિંહનો જન્મ 10 જુલાઈ, 1951ના રોજ થયો હતો. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના ભાભૌર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રામબદનસિંહ અને માતાનું નામ ગુજરાતી દેવી હતું. તેમના ભાઈનું નામ જયપાલસિંહ છે. તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો.

રાજનાથસિંહનું શિક્ષણ

રાજનાથ સિંહએ પ્રાથમિક શિક્ષણ તેમના જ ગામની એક સ્થાનિક શાળામાંથી મેળવ્યું હતું. તેમણે ગોરખપુર યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે ભૌતિક શાસ્ત્રમાં પ્રોફેસર તરીકે પણ સેવા આપી હતી.

રાજકારણની શરુઆત

રાજનાથ સિંહ 1964થી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) સાથે જોડાયેલા હતા. ૧૯૬૯થી ૧૯૭૧માં તેઓ ગોરખપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના ઓર્ગેનાઇઝેસ્નલ સેક્રેટરી હતા. 1972માં તેઓ મિર્ઝાપુર શાખાના જનરલ સેક્રેટરી બન્યા હતા. તેના 2 વર્ષ બાદ 1974માં તેઓ રાજકારણમાં જોડાયા હતા.

વિધાનસભાના સભ્ય

1974માં તેમને ભારતીય જનસંઘ (હાલની ભારતીય જનતા પાર્ટી)ના મિર્ઝાપુરના સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. 1975માં તેમને ભારતીય જનસંઘના જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1977માં રાજનાથસિંઘે મિર્ઝાપુરથી ચૂંટણીમાં જીત મેળવી અને વિધાનસભાના સભ્ય બન્યા.

રાજનૈતિક કાર્યો

રાજનાથ સિંહે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે વાજપેયીના વડાપ્રધાન પદ હેઠળ માર્ગ પરિવહન અને કૃષિ મંત્રી તરીકે પણ સેવા આપી હતી.

ઉત્તરપ્રદેશમાં રાજકારણની શરુઆત

રાજનાથ સિંહે ઉત્તર પ્રદેશમાં યુવા નેતા તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પાર્ટીના યુવા પાંખના પણ પ્રમુખ રહી ચુક્યા છે. તે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પણ છે. તેઓ બે વખત 2005થી 2009 અને 2013થી 2014 સુધી BJPના અધ્યક્ષ પણ હતા.

સંસદસભ્યથી રક્ષામંત્રીની સફર

2014થી લખનઉ મતવિસ્તારમાં તેઓ સંસદસભ્ય તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં કેન્દ્રીય ગૃહ મંત્રી તરીકે સેવા આપી હતી. અત્યારે તેઓ રક્ષામંત્રીના પદ પર છે.

અગામી ચૂંટણીમાં શું થશે ?

ભારતીય જનતા પાર્ટી હવે નવા ચેહરાને તક મળે તે રીતે કાર્ય કરે છે. હવે, 70 વર્ષથી ઉપરના નેતાઓને તે ટિકીટ આપવાનું ટાળે છે. રાજનાથસિંઘે 71 વર્ષ પૂર્ણ કર્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં તે મહત્તવના લોકચહિતા નેતા છે. શું અગામી ચૂંટણીમાં રાજનાથસિંહ આવશે ? કે, તેમની નિવૃત કરીને માર્ગદર્શન મંડળમાં લઇ જવામાં આવશે ?

વાંચો: ક્યારે અને કઇ રીતે શિન્ઝો આબેએ કરી હતી રાજકારણની શરૂઆત ?

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.